આછવણી ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા.
આછવણી ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા.
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને ગ્રામજનો સાથે ઝાડુ વડે જાતે કચરો સાફ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર બાહ્ય સફાઈ નથી, પરંતુ જીવનશૈલી અને સંસ્કાર છે. “સ્વચ્છતા ત્યાં સ્વાસ્થ્ય”ના મંત્રને આત્મસાત કરીને દરેક નાગરિકે પોતાના આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા માટે જવાબદારી નિભાવવી જોઈએ. તેમણે ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા તેમજ ગામમાં ભાઈચારો, એકતા અને સામૂહિક વિકાસ માટે કાર્ય કરવાની અપીલ કરી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો અને ખાસ કરીને યુવાનોને તમાકુ, ગુટખા અને પાનમસાલા જેવા વ્યસનોથી દૂર રહી પૌષ્ટિક આહાર અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે નિર્વ્યસની અને સંસ્કારવાન યુવાનો ગામ, રાજ્ય અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માટે સૌએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ.
કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ ગામના બે સ્વચ્છતા કર્મીઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કર્યું હતું.
આ સ્વચ્છતા ઝુંબેશમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિરાલીબેન નાયક, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ, વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
– અંત –



Comments
Post a Comment