Skip to main content

શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ

        શામળા ફળિયામાં નવીન આંગણવાડી કેન્દ્રનું સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ ખેરગામ, તા. 30/07/2026: ગામના બાળકોના સર્વાંગી વિકાસ, પ્રાથમિક શિક્ષણ અને પોષણ સ્તરને વધુ મજબૂત બનાવવાના શુભ આશયથી ખેરગામ તાલુકાના શામળા ફળિયા ખાતે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. આ નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ ગામના લોકપ્રિય સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલના વરદ્ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને રિબન કાપીને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આંગણવાડીના વર્કર બહેનોએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સરપંચશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરપંચ શ્રીમતિ ઝરણાબેન પટેલે જણાવ્યું હતું કે, "બાળકો આપણા ગામ અને દેશનું ભવિષ્ય છે. નવી આંગણવાડીના નિર્માણથી નાના બાળકોને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને સુરક્ષિત વાતાવરણ મળશે. ગ્રામ પંચાયત શિક્ષણ, આરોગ્ય અને બાળ કલ્યાણના કાર્યો માટે હંમેશા પ્રતિબદ્ધ છે." ...

ખેરગામમાં મહોરમના પર્વે કોમી એકતા સાથે ભવ્ય તાજીયા ઝુલૂસ.

 ખેરગામમાં મહોરમના પર્વે કોમી એકતા સાથે ભવ્ય તાજીયા ઝુલૂસ.



ઇસ્લામ ધર્મના પવિત્ર મહોરમ પર્વની ખેરગામમાં ઉજવણી કોમી એકતાના રંગે રંગાઈ હતી. કરબલાના મેદાનમાં હઝરત ઈમામ હુસેન અને તેમના 72 સાથીઓના શહીદોના ત્યાગની યાદમાં યોજાતા આ પર્વ નિમિત્તે રવિવારે ખેરગામમાં ભવ્ય તાજીયા ઝુલૂસ શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવ્યું.


મુસ્લિમ મહોલ્લામાંથી શરૂ થયેલું આ ઝુલૂસ ચારરસ્તા, મેઈન બજાર અને પોસ્ટ ઓફિસ માર્ગે આગળ વધી અને મસ્જિદ તેમજ મુસ્લિમ મહોલ્લામાં વિસર્જન માટે સમાપ્ત થયું. ત્યારબાદ ઔરંગા નદી ખાતે તાજીયાઓને ટાઢા કરવામાં આવ્યા. ઝુલૂસ પૂર્વે રાત્રે કલાત્મક રીતે શણગારેલ તાજીયાનું પાયલોટ ઝુલૂસ પણ નીકળ્યું હતું.


હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક


આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ એકતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું. હિન્દુ સમાજના આગેવાનો જેવા કે સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ, વેપારી અગ્રણી શ્રી પંકજભાઈ મોદી, શ્રી અંકુર શુક્લ, ભાજપ મહામંત્રી શ્રી વિજય રાઠોડે મુસ્લિમ આગેવાનો જેવા કે માજી મુતવલી ઝમીરભાઈ શેખ, અઝીઝભાઈ ક્વોરીવાળા, શોએબભાઈ શેખ, ફારૂકભાઈ શેખ, મુતવલ્લી ગુલામભાઈ શેખ અને મોઈન મોટરવાળાનું ફૂલહારથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું.


શાંતિ અને વ્યવસ્થા


ખેરગામ મહિલા પીઆઈ અને તેમના સ્ટાફ, હોમગાર્ડઝ તેમજ ગ્રામ રક્ષક દળના જવાનોએ શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તેઓ ખડેપગે રહ્યા, જેના કારણે ઝુલૂસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું.


સામાજિક એકતાનું ઉદાહરણ


ખેરગામમાં મહોરમની આ ઉજવણી ધાર્મિક પરંપરા અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહી. હિન્દુ-મુસ્લિમ સમાજના સહભાગીદારીથી આ પર્વે ભાઈચારા અને એકતાનો સંદેશ આપ્યો.

#khergamnews #infokhergam #edublogger #sbkhergam #tajiya

Comments