ખેરગામના દાદરી ફળિયામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાવેલા વૃક્ષોનું જતન કરાયું.
ખેરગામ, તા. 7 જુલાઈ : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તા. 5 જૂનના રોજ ખેરગામ તાલુકાના વિવિધ વિસ્તારોમાં વાવવામાં આવેલા વિવિધ જાતિના વૃક્ષોના રોપાઓના જતન અને ઉછેરના ભાગરૂપે રવિવારે ખેરગામના દાદરી ફળિયામાં વિશેષ વૃક્ષ જતન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી વિજય રાઠોડ, સાંઈરામ ઉર્ફે દિનેશભાઈ રાઠોડ તેમજ સ્થાનિક યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌએ વૃક્ષોની આસપાસની સફાઈ કરી, નિંદામણ દૂર કર્યું તેમજ છોડને પૂરતું પાણી આપી તેની યોગ્ય સંભાળ રાખી હતી. જેમાં સૌથી વધુ મહેનત સાંઈરામની હતી. તેમણે 5 જૂને વૃક્ષારોપણ પછી તેમને વૃક્ષોનું નિયમિત રીતે જતન કર્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, "માત્ર વૃક્ષારોપણ કરવાથી કાર્ય પૂર્ણ થતું નથી. વૃક્ષોનું નિયમિત જતન અને ઉછેર કરવો પણ દરેક નાગરિકની જવાબદારી છે. આવનારી પેઢીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ મળે તે માટે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની જવાબદારીપૂર્વક સંભાળ રાખવાનો સંકલ્પ લેવો જોઈએ."
કાર્યક્રમ દરમિયાન સ્થાનિક યુવાનોએ પણ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં પણ વાવવામાં આવેલા વૃક્ષોની સતત દેખભાળ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમ દ્વારા "વૃક્ષારોપણ સાથે વૃક્ષોનું જતન પણ એટલું જ મહત્વનું છે" તેવો મહત્વપૂર્ણ સંદેશ સમાજને આપવામાં આવ્યો હતો.


Comments
Post a Comment